ગુજરાતમાં ત્રિ-સ્તરીય પંચાયતી રાજ અંગેની વિવિધ સમિતિઓ અને તેના દ્વારા કરવામાં આવેલી ભલામણો

ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ્ય વ્યવસ્થા અમલમાં છે જેમા સૌથી નીચે ગ્રામ પંચાયત, પછી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને સ્થાનિક કક્ષાએથી જ વહિવટ કરવા માટે આપણે પંચાયતી રાજ વ્યવસ્થાને અમલમાં મુકી છે. ગુજરાતતમાં પંચાયતી રાજ અમલમા6 મુકવા માટે સરકાર દ્વારા વખતો વખત સમિતિઓ બનાવવામાં આવી હતી જે સમિતિઓએ પોતાનો અહેવાલ સરકારને સોંપ્યો હતો. બોલે ગુજરાતમાં આજે આપણે પંચાયત રાજ અંગેની સમિતિઓ વિશે જાણીશુ.

1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થતાં ગુજરાતમાં પંચાયતીરાજ માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા. તે અંતર્ગત 1960માં ગુજરાતના તત્કાલિન ગૃહપ્રધાન રસિકલાલ પરીખના અધ્યક્ષસ્થાને પંચાયતીરાજ માટે 15 સભ્યોની સમિતિ રચવામાં આવી. તે સમિતિએ આપેલ અહેવાલ અને ભલામણો અન્વયે ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 ઘડવામાં આવ્યો. આવો જાણીયે વિવિધ સમિતિઓ વિશે.

– બળવંતરાય મહેતા સમિતિ(ઇ.સ.1957)

ભારતમાં પંચાયતી રાજની સ્થાપના માટે ગુજરાતના બીજા નંબરના મુખ્યમંત્રી અને હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન પામનાર બળવંતરાય મહેતાના અધ્યક્ષપણા હેઠળ ઇ.સ.1957માં બળવંતરાય મહેતા સમિતિ બનાવવામાં આવી. આ સમિતિ એ પોતાનો અહેવાલ 24-11-1957 ના રોજ કેન્દ્ર સરકારને સુપ્રત કર્યો જેનાં આધારે 2 ઓક્ટોબર 1959 ના રોજ પંડિત જવાહરલાલ નહેરુના હસ્તે રાજસ્થાનનાં નાગૌર જિલ્લાના બગદરી ગામમાં પંચાયતી રાજની શરૂઆત થઈ પરંતુ પંચાયતી રાજનો સમગ્ર રાજ્યમાં અમલ કરનારું પ્રથમ રાજય “આંધ્રપ્રદેશ” હતુ.

બળવંતરાય મહેતા સમિતિની ભલામણ:

પંચાયતી રાજનું ત્રિ-સ્તરીય માળખું હોવું જોઇયે.

પંચાયતોને કરવેરા નાખવાની અને ઉઘરાવવાની સતા હોવી જોઇયે.

ગ્રામ પંચાયતોને વહીવટ કરવા માટે 100% ખર્ચ આપવો.

ગ્રામ પંચાયતનું વિઘટન કરતાં પહેલા જીલ્લા પંચાયતોનો અભિપ્રાય લેવો.

 – અશોક મહેતા સમિતિ(ઇ.સ. 1977)

પંચાયતી રાજને મજબૂતાઈ આપવા માટે જનતા સરકાર(મોરારજી દેસાઈ) દ્રારા આ સમિતિ 12-12-1977 ના રોજ બનાવવામાં આવી અને આ સમિતિએ પોતાનો અહેવાલ 21-8-1978 ના રોજ સુપ્રત કર્યો પરંતુ મોરારજી દેસાઈની સરકાર ગબડી પડતાં આ સમિતિની ભલામણનો સ્વીકાર ન થઈ શક્યો.

અશોક મહેતા સમિતિની ભલામણો:

  • બંધારણમાં સંશોધન કરીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને બંધારણીય દરજ્જો આપવો.
  • સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી નિયમિત અને સમયાંતરે કરવી.
  • પંચાયતીરાજ ત્રિસ્તરીયને બદલે દ્વિસ્તરીય કરવું. એક ગ્રામ્ય સ્તરે અને બીજુ જિલ્લા સ્તરે.
  • જિલ્લા પરિષદની રચના સીધી ચૂંટણીથી થવી જોઈએ અને તેનો અધ્યક્ષ બિન-સરકારી વ્યક્તિ હોવી જોઈએ.
  • પંચાયતોને સુપરસીડ કરવાની રાજ્યોની સત્તા મર્યાદિત કરી, છ મહિનાની અંદર નવેસરથી ચૂંટણી કરાવવી જોઈએ.
  • સામાજિક ઑડિટની વ્યવસ્થા કરવી. જિલ્લા સ્તરે ‘સામાજિક હિસાબ સમિતિ’ બનાવવી; જેમાં રાજ્યની વિધાનસભાના જે-તે ક્ષેત્રના વિધાનસભ્યો સભ્ય હોય. આ સમિતિનો મુખ્ય ઉદ્દેશ સામાજિક, આર્થિક રીતે પછાત લોકો સુધી યોજનાઓના લાભ પહોંચે છે કેમ તે તપાસવું.
  • યોજનાઓ તથા કાર્યોનું સંકલન અને નિયમન જિલ્લા સ્તરથી સીધુ જ નીચે ગ્રામ્ય સ્તરે થવું જોઈએ.
  • ન્યાય પંચાયતનું નવનિર્માણ કરવું.
  • ‘ન્યાય પંચાયત’ને એક અલગ જ સંસ્થા બનાવવામાં આવે; જેનું અધ્યક્ષપદ યોગ્ય ન્યાયાધીશ સંભાળે તે જરૂરી હોય.
  • રાજ્યમાં પંચાયતી રાજ સંસ્થાઓમાં ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી અધિકારીનું પદ હોવું જોઈએ અને તે દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર સાથે પરામર્શ કરી ચૂંટણીની કામગીરી હાથ ધરશે.
  • પંચાયતી રાજ સંસ્થાઓમાં લોકો ભાગીદાર બનવા પ્રેરાય અને જાગૃતિ ફેલાય તે માટે બિન સરકારી સંગઠન (NGO) સક્રિય ભૂમિકા ભજવે તે જરૂરી છે.
  • પંચાયતી રાજ સંસ્થાઓ વિષયક દેખરેખ રાખવા માટે રાજ્ય મંત્રી પરિષદમાં એક મંત્રીની નિમણૂક કરવી.
  • પંચાયતી રાજ સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC/ST) માટે તેમની સંખ્યાના આધારે બેઠકો અનામત હોવી જોઈએ.

– રસિકલાલ પરીખ સમિતિ (ઇ.સ. 1960) (ગુજરાત સરકાર)

ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના કરવા માટે તત્કાલીન ગૃહમંત્રી રસિકલાલ પરીખનાં અધ્યક્ષપણા હેઠળ ઇ.સ.1960 માં 15 સભ્યોની એક સમિતિ બનાવવમાં આવી. જેને પોતાને અહેવાલ 21-12-1960 ના રોજ સુપ્રત કર્યો. આ સમિતિની ભલામણના આધારે “ગુજરાત પંચાયત અધિનિયમ- 1961” બનાવવામાં આવ્યો પરંતુ 1962 ના ભારત-ચીન યુદ્ધના કારણે આ કાયદાનો અમલ “1 એપ્રિલ 1963” થી થયો અને ગુજરાત  પંચાયતી રાજનો અમલ કરનારું ભારતનું “આઠમું” રાજય બન્યુ. રસિકલાલ પરીખની ભલામણોથી ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપન થઈ.(1-4-1963)

– ઝીણાભાઈ દરજી સમિતિ(ઇ.સ.1972) (ગુજરાત સરકાર)

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી ઘનશ્યામભાઈ ઓઝાની સરકારે 12 એપ્રિલ, 1972ના રોજ ઝીણાભાઈ દરજીની અધ્યક્ષતામાં સમિતિ રચી હતી. આ સમિતિએ પોતાનો અહેવાલ 30 સપ્ટેમ્બર, 1972ના રોજ સરકારને સોંપ્યો.

ઝીણાભાઈ દરજી સમિતિની ભલામણો: 

  • ત્રણે સ્તરની પંચાયતોમાં સામાજિક ન્યાય સમિતિ ફરજીયાત બનાવવી.
  • ગ્રામ પંચાયત સિવાય તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પક્ષીય ધોરણે ચૂંટણી કરવી.
  • ત્રણે સ્તરની પંચાયતો માટે સીધી ચૂંટણી કરવી.
  • SC અને ST માટે ઓછામાં ઓછી એક અને મહિલાઓ માટે ઓછામાં ઓછી બે બેઠકો અનામત રાખવી.
  • સરપંચની ચૂંટણી પ્રત્યક્ષ થવી જોઈએ.
  • બેવડા સભ્યપદ પર નિયંત્રણ મૂકવું જોઈએ. અહીં બેવડા સભ્યપદનો અર્થ એ મુજબ થાય છે કે કોઈ વ્યક્તિ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત એમ બે પંચાયતોનો સભ્ય બનવો જોઈએ નહીં.  ઉપરાંત એક કરતાં વધુ ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતનો સભ્ય પણ બનવો જોઈએ નહીં.
  • ગ્રામ પંચાયતોની આવક માટે કરવેરા – ઉપકરની વધુ જોગવાઈ કરવી જોઈએ.
  • ગ્રામસભા પર વધુ ભાર મૂકવો.
  • ન્યાય પંચાયતો અને સમાધાન પંચની રચનામાં ફેરફારો કરવા.

– રીખવદાસ શાહ સમિતિ (1978) (ગુજરાત સરકાર)

મહેસાણા જીલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ રીખવદાસ શાહની અધ્યક્ષતામાં ઇ.સ.1978 માં આ સમિતિ બનાવવામાં આવી હતી. તા.23-5-1978 ના રોજ અહેવાલ આ સમિતિ એ સુપ્રત કર્યો.

રીખવદાસ શાહ સમિતિની ભલામણો

ગ્રામ પંચાયત સ્તરે બિનહરીફ ચૂંટણીને પ્રોત્સાહન આપવા ગ્રાન્ટ આપવી.

ગ્રામસભા પર વધુ ભાર મૂકવો.

પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવો.

ગ્રામ પંચાયતને દબાણ હટાવવાની સત્તા હોવી જોઈએ.

પંચાયતોને વધુ અધિકારો આપવા જોઈએ અને વધારે સાધનો તબદીલ કરવાં જોઈએ.

– G V K સમિતિ(કાર્ડ સમિતિ) (ઇ.સ.1985)

માર્ચ, 1985માં યોજના આયોગના પૂર્વ સભ્ય શ્રી જી. વી. કે. રાવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિ – કમિટી ટૂ રિવ્યુ ધ એક્ઝિસ્ટીંગ એડમિનિસ્ટ્રેટીવ અરેન્જમેન્ટસ ફોર રૂરલ ડેવલપમેન્ટ એન્ડ પોવર્ટી એલિમિનેશન પ્રોગ્રામ્સ એટલે (Committee to review the existing Administrative Arrangements for Rural Develoment and poverty elimination Programme) કે ટૂંકમાં ‘કાર્ડ’ (CAARD) સમિતિ તરીકે પણ ઓળખાય છે.

આ સમિતિનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિકાસ અને ગરીબી નાબૂદી માટેના કાર્યક્રમોની વહીવટી વ્યવસ્થા અંગે સમીક્ષા કરવાનો હતો. જી. વી. કે. રાવ સમિતિએ પંચાયતી રાજ સંસ્થાઓની વહીવટી વ્યવસ્થાની સમીક્ષા કરતાં જણાવ્યું કે પંચાયતી રાજ સંસ્થાઓ ‘નોકરશાહીકરણ’ના કારણે નબળી બની ગઈ છે. જી. વી. કે. રાવ સમિતિએ પંચાયતી રાજ સંસ્થાઓને ‘મૂળ વગરના ઘાસ’ સાથે સરખાવી.

G V K સમિતિની ભલામણો:

  • પંચાયતી રાજને ચાર સ્તરીય બનાવવામાં આવે અને રાજ્ય સ્તર પર રાજ્ય વિકાસ પરિષદની રચના કરવામાં આવે, જેના અધ્યક્ષ મુખ્યમંત્રી હોય અને મંત્રીમંડળના બધા સભ્યો અને જિલ્લા પંચાયતો કે જિલ્લા પરિષદના અધ્યક્ષો તેના સભ્યો હોય. વિકાસ કમિશ્નર તેના સભ્ય સચિવ તરીકે હોય. આ પરિષદ જિલ્લા પંચાયતની બધી યોજનાઓને અનુમોદન આપે.
  • જિલ્લા વિકાસ કમિશ્નરના પદની રચના કરવામાં આવે; જે જિલ્લા પરિષદનો મુખ્ય કાર્યકારી અધિકારી હોય તેમજ જિલ્લા પરિષદના દરેક વિભાગનો પ્રભારી હોય.
  • જિલ્લા વિકાસ કમિશ્નરનું પદ અસ્તિત્વમાં આવવાથી ‘જિલ્લા કલેક્ટર’ની પંચાયતી રાજ સંસ્થાઓ અંગેની સત્તાઓ અને ફરજો ઓછી કરવા સૂચવ્યું.
  • પંચાયતી રાજ સંસ્થાઓમાં નિયમિત રૂપથી ચૂંટણીઓ આયોજીત થવી જોઈએ.
  • જિલ્લા સ્તરની પંચાયતી સંસ્થા ‘જિલ્લા પરિષદ’ને મહત્ત્વપૂર્ણ સ્થાન મળવું જોઈએ; એટલે કે પંચાયતી રાજ સંસ્થાઓના આયોજન અને વિકાસ કાર્યોનું નિયમન જિલ્લા સ્તરથી થવું જોઈએ.
  • જિલ્લા પરિષદના પ્રતિનિધિ માટે ત્રીસ કે ચાલીસ હજારની વસ્તી દીઠ એક પ્રતિનિધિની ચૂંટણી કરવામાં આવે. પહાડી અને વન વિસ્તારોમાં આ સંખ્યા ઓછી હોઈ શકે.
  • જિલ્લા પરિષદ કે જિલ્લા પંચાયતમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, પછાત વર્ગના લોકો અને મહિલાઓની બેઠકો યોગ્ય પ્રમાણમાં અનામત રાખવામાં આવે.
  • જિલ્લા પંચાયતનો અધ્યક્ષ પ્રત્યક્ષ કે પરોક્ષ ચૂંટણીથી ચૂંટી શકાય. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ સંસ્થા, હૈદરાબાદમાં (National Institute of Rural Development) પ્રશિક્ષણ આપવામાં આવે. જિલ્લા પંચાયતની મુદત 3 થી ૫ વર્ષની હોઈ શકે.
  • જિલ્લા કક્ષાએ ચાલતી વિભિન્ન વિભાગોની કામગીરી જિલ્લા પંચાયતને સોંપવામાં આવે અને તેનું સંચાલન કરવા જિલ્લા કક્ષાની 11 સ્થાયી સમિતિઓની રચના કરવામાં આવે.
  • ગ્રામસભાને સશક્ત બનાવવામાં આવે અને વર્ષમાં બે વાર તેની બેઠકો યોજાય.

– એલ.એમ.સંઘવી સમિતિ(લક્ષ્મીમલ સંઘવી)(1986) 

સિંઘવી સમિતિની રચના રાજીવ ગાંધી દ્વારા ૧૬ જૂન, ૧૯૮૬ના રોજ ર્ડા. લક્ષ્મીમલ સિંઘવીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. એલ. એમ. સિંઘવી સમિતિએ પોતાનો અહેવાલ ૫ નવેમ્બર, ૧૯૮૬ના રોજ સરકારને સોંપ્યો. તા.૨૭/૧૧/૧૯૮૬ના રોજ એલ. એમ. સિંઘવી સમિતિએ પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાની જોરદાર ભલામણ કરી હતી.

એલ.એમ.સંઘવી સમિતિની ભલામણો

  • પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય સ્થાન આપવામાં આવે અને બંધારણમાં અલગ પ્રકરણ ઉમેરવામાં આવે. જેથી પંચાયતી રાજ સંસ્થાઓની વિશ્વસનીયતા નિશ્ચિત થઈ શકે.
  • ગામડાંઓના સમૂહો માટે સંયુક્ત ન્યાય પંચાયતની સ્થાપના કરવામાં આવે.
  • ગામડાંઓમાં લોકતંત્રના પ્રભાવમાં વધારો થાય તે માટે ગ્રામસભા પર વધુ ભાર મૂકવામાં આવે.
  • પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણી નિયમિત અને નિષ્પક્ષ રીતે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવે.
  • પંચાયતી રાજમાં પક્ષીય રાજનીતિ ન હોવી જોઈએ.
  • ન્યાય પંચાયતો અથવા ગ્રામ ન્યાયાલયોની ઉચિત વ્યવસ્થા થાય.
  • કેન્દ્ર સરકાર પ્રત્યેક રાજ્ય માટે રાજ્ય નાણાપંચની રચના કરે અને પંચાયતી રાજમાં વિકાસ કાર્યો માટે નાણાંની જોગવાઈ કરે.
  • પંચાયતી રાજ સંસ્થાઓને કર નાખવાની સત્તા આપવામાં આવે.
  • કેન્દ્ર કક્ષાએ ‘રાષ્ટ્રીય સ્થાનિક સ્વ-શાસન સંસ્થાન’ અને પ્રત્યેક રાજ્યમાં ‘રાજ્ય સ્થાનિક સ્વશાસન સંસ્થાન’ની સ્થાપના કરવામાં આવે.
  • દરેક રાજ્યમાં પંચાયતી રાજ સંબંધી વિવાદોના ઉકેલ માટે પંચાયતી રાજ પ્રાધિકરણની સ્થાપના કરવામાં આવે.

– પી.કે.થુંગન સમિતિ(ઇ.સ.1888)

વર્ષ 1988માં રાજીવ ગાંધી સરકારે કોંગ્રેસ સાંસદ પ્રેમા ખાંડુ  થુંગનની અધ્યક્ષતામાં સંસદીય સમિતિનું ગઠન કર્યું. આ સમિતિની રચના પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવાની બાબત પર વિચારણા કરવા માટે કરવામાં આવી હતી.

પી.કે.થુંગન સમિતિની ભલામણો

પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય સ્થાન મળવું જોઈએ.

પંચાયતી રાજ સંસ્થાઓમાં ચૂંટણીઓ નિયમિતપણે  યોજવી જોઈએ. ચૂંટાયેલી પેનલની સમયમર્યાદા પાંચ વર્ષની હોવી જોઈએ.

જિલ્લા પંચાયતોને વિકાસ અને આયોજનનાં કાર્યો માટે મહત્ત્વની ભૂમિકા ભજવવા પર ભાર મૂક્યો.

જિલ્લા કલેક્ટરને જિલ્લા પંચાયતના કાર્યકારી અધિકારી બનાવવામાં આવે.

પંચાયતી રાજ સંસ્થાઓનો કાર્યકાળ પાંચ વર્ષનો કરવામાં આવે.

જો આપને આ માહિતી ગમી હોય તો લેખ શેર કરો તેમજ બોલે ગુજરાત પેજ લાઈક કરો.

 

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat