વર્ષ ૨૦૧૯નાં જાન્યુઆરી મહિનામાં જ્યારે આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવીશું ત્યારે બંધારણને અમલમાં આવ્યે ૭૦ વર્ષ પુરા થશે. ભારતનું બંધારણ નવા કાયદાઓ બનાવવા માટેનું આદર્શ માર્ગદર્શક ઉપરાંત દેશના નાગરીકોની, નેતાઓની અને સરકારી તંત્રની ફરજો અને જવાબદારી નક્કી કરતો સર્વોચ્ચ દસ્તાવેજ છે. ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦નાં રોજ બંધારણ અમલમાં આવ્યું અને આ બંધારણ બનતા બે વર્ષ ૧૧ મહિના જેટલો સમય લાગ્યો. બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત સ્વરૂપનું બંધારણ હોવાનું ગૌરવ તમામ ભારતવાસીને પ્રાપ્ત થયેલ છે.
જો કે બદલાતા સમાજ અને બદલાતી માન્યતાઓ સાથે સાથે જરૂરિયાતો પણ બદલાતી રહે છે. બદલાતા સમય અને જરૂરિયાત સાથે બંધારણ પણ ગતિમાન ન રહે તો બંધારણ પોતે અસ્વસ્થ બની શકે છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે. તેથી જ બંધારણ પ્રગતિશીલ રાખવા તેમજ સમયની સાથે તાલમેલ ધરાવતો આદર્શ દસ્તાવેજ બનાવી રાખવા ૨૦૧૮ સુધીમાં ૧૨૩ જેટલા સુધારાઓ કરીને બંધારણમાં કશુક ઉમેરવામાં અથવા દુર કરવામાં આવ્યું છે. બંધારણમાં સુધારો કરવા માટે “બે તૃતીયાંશ” બહુમતીનાં મતદાન સાથે ખરડો પાસ થવો જરૂરી છે.
સ્વ.વડાપ્રધાન રાજીવ ગાંધી.
બંધારણનાં આર્ટીકલ ૩૨૬ની જોગવાઈથી ભારતના તમામ નાગરીકોને પુખ્ત મતાધિકાર પ્રાપ્ત થયેલ છે. બંધારણની જોગવાઈ પ્રમાણે ૨૧ વર્ષની ઉમર ધરાવતી વ્યક્તિ જ મત આપી શકતી હતી. યુવાશક્તિમાં ખુબ જ વિશ્વાસ ધરાવતા અને યુવાનોની પ્રચંડ તાકાતને દેશહિતમાં કેમ વાપરી શકાય તેવા સપનાઓ સાથે યુવાનોને સક્રિય રાજનીતિનું પ્રતિનિધિત્વ પૂરું પાડવાના શુભ ઈરાદાથી તત્કાલીન વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીએ યુવાનોને મતનો અધિકાર આપવા માટે લોકસભામાં બિલ રજુ કર્યું હતું.
આ બિલનું નામ “બંધારણ (૬૧મો સુધારા) અધિનિયમ – ૧૯૮૮” હતું અને આ બંધારણીય સુધારાથી કલમ ૩૨૬માં સુધારો કરીને “એકવીશ વર્ષ”ની જગ્યાએ “અઢાર વર્ષ” શબ્દો ઉમેરવામાં આવ્યા. લોકસભામાં આ બિલ ૯ ડીસેમ્બર ૧૯૮૮માં રજુ કરવામાં આવ્યું તેમજ ૨૮ માર્ચ ૧૯૮૯માં પૂર્ણ બહુમતીથી પાસ થતા દેશના યુવાનોને અઢાર વર્ષે મત આપવાનો અધિકાર પ્રાપ્ત થયેલ છે.